ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન થયેલી અથડામણ અને પથ્થરમારાની ઘટના બાદ રાજ્ય સરકારે દંગાઈઓ સામે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ‘મા અંબાના ભક્તો પર પથ્થરમારો કરનારાઓને સૂરજની પહેલી કિરણ પહેલાં ઘરમાંથી પકડી પાડ્યા, અને ઘરની અંદર છુપાયેલા દંગાઈઓના દરવાજા તોડી-તોડીને ધરપકડ કરવામાં આવી.’
તેમણે ઉમેર્યું કે, પોલીસે પકડાયેલા 60થી વધુ આરોપીઓની ક્રિમિનલ કુંડળી અને ગેરકાયદે સંપત્તિઓની તપાસ શરૂ કરી દીધી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, બહિયલ ગામમાં તંત્ર દ્વારા 186 જેટલા ગેરકાયદે દુકાનો, ગોડાઉન અને અન્ય દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન થયેલી અથડામણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મીડિયાને સંબોધતા સ્પષ્ટ કહ્યું કે, રાજ્ય સરકાર આવા દંગાઈઓ સામે કડકાઈપૂર્વક પગલાં ભરતી આવી છે અને આગળ પણ ભરતી રહેશે. આ બધા જ લોકોએ રાજ્યના નાગરિકોની જમીનો પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. હવે પોલીસ તેમની ક્રિમિનલ કુંડળીની અંદર ઘુસીને તપાસ કરી રહી છે, જેથી આ લોકો બીજી વાર પથ્થર તરફ નજર પણ ન કરે.
તેમણે ઉમેર્યું કે, ગાંધીનગર પોલીસે નવરાત્રિના તહેવાર દરમિયાન મા અંબાના ભક્તો પર પથ્થરમારો કરનારાઓને સુરજની પહેલી કિરણ પહેલાં ઘરમાંથી પકડી પાડ્યા. ઘરની અંદર છુપાયેલા દંગાઈઓના દરવાજા તોડી-તોડીને ધરપકડ કરવામાં આવી. બાદમાં તેમની આવકના સ્ત્રોતો અને ગેરકાયદે સંપત્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આ દંગાઈઓ પાસેથી થયેલા નુકસાનની ભરપાઈ કરાવીને જ શાંતિ સ્થાપિત થશે. રાજ્ય સરકાર કોઈને પણ છોડશે નહીં. બહિયલ કાંડ બાદ પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આ વલણથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે દંગાઈઓને કડક સજા મળશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બિલકુલ સહન કરવામાં નહીં આવે.
