ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હાલમાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ છે. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા.
હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DyCM બનાવાયા છે. ત્યાર બાદ જિતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા.

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી, સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા.
નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે.
રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.
